એક કોઇ બ્રાહ્મણ સમુદ્ર સ્નાન માટે ગયો. સમુદ્ર સ્નાન ઘણું પવિત્ર ગણવામાં આવ્યું છે. પરંતુ તેના હાથમાં એક લોટો હતો. નહાવા જતી વખતે લોટો ક્યાં રાખવો? આથી તેણે સમુદ્રની રેતીમાં છુપાવી દેવાનો વિચાર આવ્યો. લોટાને રેતીમાં દાટ્યો. પરંતુ હવે લોટો ક્યાં છે તે કેવી રીતે ખબર પડે? તેથી તેણે નિશાની તરીકે તેના પર શિવલીંગ બનાવ્યું અને ચિંતા મુક્ત થઇને નહાવા ગયો.

ત્યાં બીજા લોકો હતા તેમણે લોટાને ન જોયો પરંતુ બ્રાહ્મણને રેતીનું શિવલીંગ બનાવતા જોયો. તેમને થયું કે સમુદ્રસ્નાનનું તો મહત્વ છે જ, પણ રેતીનું શિવલીંગ બનાવીને સમુદ્રસ્નાન કરવાનું ઘણુ વધારે મહત્વ હોવું જોઇએ તો જ આ બ્રાહ્મણ આવું કરે. તેથી લોકો પણ શિવલીંગ બનાવીને સ્નાન કરવા માટે જવા લાગ્યાં. થોડીવારમાં બ્રાહ્મણ બહાર આવ્યો તો એટલા બધા શિવલીંગ હતા કે પોતાના લોટા વાળું શિવલીંગ મળે નહી.

સાર: લોકો કારણ સમજ્યા વગર જ રિતરીવાજો કે ધર્મ પાળે છે. એકે કર્યુ તેથી બીજો કરે છે અને આવું જ ચાલી આવે છે.

[Source: swadhyay pravachan]